સર્ગ અગિયારમો

વિશાળતર મનનાં રાજ્યો અને દેવતાઓ

 

વસ્તુનિર્દેશ

   

           શ્રમકાર્યે લાગેલા મનની સીમાઓનો ત્યાં અંત આવ્યો, પણ વિચાર પોતાનાં સાધનોથી મહાન છે ને મર્ત્ય માનસનાં વર્તુલોથી પાર તેની ગતિ થાય છે. રાજાનો આત્મા વિચારની દૃષ્ટિ પાર વિસ્તર્યો. આત્માને કોઈએ બનાવ્યો નથી; એ છે સનાતન અને વિચાર દ્વારા એનું જ્ઞાન થતું નથી.

            રાજા આરોહતો જાય છે. કલ્પનાતીત શૃંગો પર દૂર આદર્શ મનના વૈભવો દૃષ્ટિગોચર થાય છે. જ્ઞાત જગતની પાર એ આવેલું છે. જે અલ્પ આપણે છીએ તેનું મૂળ એ છે, ને આપણે જે કંઈ હજુ થવાનું છે તે સૌ એની અંદર રહેલું છે. પ્રાણના ઉડ્ડયનની ને સ્વપ્ની સરહદની પાર એ વિસ્તરેલું છે. એની અંદર આત્માનાં સત્યો જીવંત દેવસ્વરૂપો લે છે, ને તે પ્રત્યેક દેવ એક સૃષ્ટિ રચવાનો અધિકાર ધરાવે છે. આપણો એમની સાથે સગાઈનો સંબંધ છે, તે કારણે ત્યાંના દિવ્ય પ્રભાવોં આપણાં જીવનોમાં આવતા રહે છે. એ આપણી માતૃભૂમિ છે ને દ્રવ્યના જગતમાં અધિવાસ કરવા માટે આપણે ત્યાંથી અહીં આવેલા છીએ. આપણે ત્યાંથી નિર્વાસિત થયેલા છીએ છતાં આપણા આત્માને એ પોતાના અસલના વતનનાં સ્વપ્નાં આવતા રહે છે અને તે જ્યોતિર્મય ભૂમિકાઓમાં આરોહવા સમર્થ છે.

              અશ્વપતિ અમરોના વાયુમંડળમાં પ્રવેશે છે. ત્યાં જ્ઞાન કર્મને દોરે છે, પદાર્થ વિચારના તત્વોનો બનેલો છે, ભાવ સ્વર્ગનું વિહંગ છે ને સ્વપ્નપાંખે ઊડે છે, સંકલ્પ દેવોનો સચેતન રથ છે, જીવન ચિંતનલીન શક્તિનો ભવ્ય પ્રવાહ છે, ને નિગૂઢ સૂર્યોનો સાદ એની ઉપર આંદોલાય છે; ત્યાં છે અમર સુખનું સુહાસ્ય, અકાળનો આનંદ, પ્રાજ્ઞતાનો પવિત્ર મર્મર, ત્યાં છે અનંતતાનો ઉચ્છવાસ, મુક્ત ને સર્વસમર્થ મનોમય પુરુષ ત્યાં નીલ કમલના ચિંતનમાં નિમગ્ન રહેલો છે. કાળની કિનારી ત્યાં શાશ્વતીના આકાશને સ્પર્શે છે, પ્રકૃતિ ત્યાં કેવલાત્મા સાથે સંભાષણ કરે છે.

૪૧


                 રાજાના માર્ગમાં વ્યવસ્થિત વિચારનો ત્રિગુણ પ્રદેશ પ્રથમ આવ્યો. આ આરંભની ભૂમિકા આપણા માનવ મનની નજીકમાં છે. ત્યાંના દેવતાઓ આપણાં મહત્તર ચિંતનોના માર્ગો તૈયાર કરે છે. ત્યાં સર્વસર્જક શબ્દ માટે મધ્યસ્થ બનેલા બલિષ્ઠ રક્ષકો સ્વર્ગના યાત્રી આત્મા માટે પારની હજારો ચાવીઓ લઈને ઊભા છે. તેઓ મર્ત્યો માટે અમર્ત્ય અગ્નિ આણે છે. એ પ્રાણવંત દિવ્ય સાન્નીધ્યોએ આત્માને માટે જગતને કિંડરગાર્ટન બનાવ્યું છે. આત્માની કલ્પનાઓ માટે તેઓ બીબું બનાવે છે, સર્વ જેની અંદર આવેલું છે તેને તેઓ રૂપમાં સમાવે છે, કાર્યકારણની સાંકળી તેઓ ગૂંથે છે, અકાળને કાળની ક્ષણોનો ગુલામ બનાવે છે, મુક્તને જન્મની કારામાં નાખવામાં આવે છે, ને પરિણામે મન જેની ઉપર અમલ ચલાવી શકે એવું એક જગત રચાય છે. હજારો સૂર્યો તરફ નજર નાખતી પૃથ્વી પર સર્જાયેલું સામર્થ્ય પ્રકૃતિનો પ્રભુ બને, જડતત્વનાં ઊંડાણો ચૈત્યના તણખાથી તેજસ્વી બને, તે માટે તેમણે એક બ્રહ્ય સ્વરૂપની કોટીકોટી રહસ્યોથી ભરી ગતિને તિથિના ચોકઠામાં ને ક્ષેત્રની મર્યાદામાં બદ્ધ બનાવી છે.  

                 એનાથી ઉપર મહાન દેવોની જાતિ વિરાજે છે. એમની આંખોમાં મુક્તિદાતા જ્ઞાનનો પ્રકાશ છે. મનમાં રહીને તેઓ અંતરથી સત્યને જાણે છે, કાળનાં રીઢાં રૂપોની આરપાર વેધક દૃષ્ટિ નાંખી શકે છે. તેઓ છે શક્યના શિલ્પીઓ ને અશક્યના ઇજનેરો. અનંતતાઓ, અજ્ઞેય સત્યો, ફૂટ સમસ્યાઓ એમનો વ્યવહારનો વિષય છે; અજ્ઞાતનો ને જ્ઞાતનો તેઓ યોગ સાધે છે. એક્સ્વરૂપ ત્રિગુણ યોજનામાં એમના દ્વારા ઢળાય છે. મહામાતાના આનંદના અકળ ને અદભુત ભાવોને તેમણે કાંસાની મૂર્તિમાં ઢાળ્યા છે. તેમને અન્ય સકળનું જ્ઞાન છે, પણ જે એકમાત્ર સત્ય છે તેનાથી તેઓ વંચિત રહ્યા છે. અતિશય જાણવાથી તેઓ અખિલને જાણી ન શકયા. પરાત્પર તેમને માટે રહસ્યમય જ રહ્યો.

                 ત્રિગુણા સીડીના વિશાળ શિખરે વિરાજતા હતા પ્રભાવશાળી વિચારક્ષેત્રના રાજાઓ. સ્થળ ને કાળમાં દૃષ્ટિપાત કરી તેઓ બધું અવલોકતા હતા. મન ત્યાં એક ઉચ્ચતર શક્તિને અજાણતાં સેવી રહ્યું હતું. એક જ્ઞાન, એક સત્યદૃષ્ટિ, એક શબ્દ, એક સ્વર, ને કેવળ સ્વરૂપનાં દર્શનો ભાવસંકલ્પનું બીજ રોપે છે ને તેમાંથી કાળમાં આવેલું બધું ઊગી નીકળે છે. ત્યાં પ્રકૃતિનું અજ્ઞાન સુદ્ધાં સત્યનું શસ્ત્ર બની જાય છે. જે નિત્ય વિદ્યમાન છે તે કાળનાં વર્ષોમાં વ્યક્ત થાય છે, જડતત્વમાંથી ક્રમે ક્રમે ઉત્ક્રાંત થઇ અમૃતત્વે આરોહે છે.

                 પણ બ્રહ્યસ્વરૂપનું સત્ય ગૂઢ છે, વર્ણનીય નથી. આત્માની આંખે જ એ પકડાય છે. અહંતા અને મન નથી હોતાં ત્યારે પરમાત્માનો શબ્દ સંભળાય છે. આપણા વિચારો માટે આ વસ્તુ પરદેશીય છે. પરંતુ ઉચ્ચતર વિચારના અધિનાયકોમાં ઈશ્વરદત્ત બળ હતું, તેથી તેઓ કેવળ સત્યને પકડી પડવાનું સાહસ આરંભતા. જે સનાતન શબ્દે જગતને અસ્તિત્વમાં આણ્યું છે તેના બીજાક્ષરો એમણે શોધી

૪૨


કાઢયા, એનો સંગીતલય સાંભળ્યો, ને અશરીરી સંકલ્પને પકડી પડયો. નિરપેક્ષ કેવળ બ્રહ્યને, અગૃહીત અનંતતાઓને વાડામાં પૂરવાને તેમણે વાણીની ને વિચારની દીવાલો ઊભી કરી ને એક સ્વરૂપને ધારણ કરવા માટે ખાલીખમ શૂન્ય સર્જ્યું. મનનું ડહાપણ આટલાથી અટકી પડયું. એને એમાં જ પરિપૂર્ણતા જણાઈ. એને માટે વિચારવાનું ને જાણવાનું બીજું કશું જ બાકી ન રહ્યું. અધ્યાત્મ શૂન્યકારને એણે ગાદીનશીન કર્યો, વિરાટ મૌનને એણે અનિર્વચનીય માન્યું.

           આ હતી વિચાર-પ્રદેશના ઉજ્જવલ દેવતાઓની રમત. સત્યની દેવીને તેમણે રાણી તો ગણી, પણ બંદી બનાવીને એને આરાધી, અને એ દેવીએ એમની આશાઓ પૂરી.

           પરંતુ વિચાર કે શબ્દ શાશ્વત સત્યને પકડવા ને પૂરવા સમર્થ નથી. આપણું મિથ્થાભિમાની મૂઢ મન સત્યને શૃંખલાબદ્ધ કરવાનાં સ્વપ્નાં સેવે છે, પણ સત્યને બાંધવા જતાં આપણે પોતે જ બંધાઈ જઈએ છીએ. મોટા મોટા ઋષિમુનિઓની બાબતમાં પણ આવું જ બને છે, તેઓ પરમાત્મતત્વને મર્યાદિત બનાવતા હોય છે. આપણે તો વિચારમાંથી કૂદકો મારી સત્યદૃષ્ટિએ પહોંચવાનું છે, સત્યની જ સર્વોપરિતા સ્વીકારવાની છે, અને આત્મા સંપૂર્ણપણે સમર્પી દેવાનો છે. આવું થાય છે ત્યારે અવ્યક્ત સ્વરૂપ નિ:સ્પંદન મનમાં પોતાનું પ્રતિબિંબ પાડે છે, અકાળ-જ્યોતિ ઊતરીઆવે છે અને આપણે શાશ્વતમાં મગ્ન થઇ જઈએ છીએ.

            સત્ય પોતાનાં રૂપો કરતાં વધારે વિશાળ છે, વધારે મહિમાવાન છે. ભલે આપણે એની અનેકાનેક માર્યાદિત મૂર્ત્તિઓ બનાવી એને આરાધીએ, છતાં સત્યની દૈવી શક્તિ કેવલ અદ્વિતીય છે, સ્વયંસ્વરૂપ છે, અનંત છે.

 

થઇ સમાપ્ત સીમાઓ તહીં કાર્યશ્રમે લાગેલ શક્તિની.

કિંતુ સત્-તા અને સૃષ્ટિ અટકી ન પડે તહીં.

કેમ કે મર્ત્ય ચિત્તનાં

વલયોને કરી પાર ગતિ થાય વિચારની,

નિજ પાર્થિવ ઓજાર થકી છે એ મહત્તર :

મનને સાંકડે સ્થાને સંકષ્ટાયેલ દેવતા

અનંતતાતણો છે જે માર્ગ એવા કોઈ એક વિરાટમાં

સર્વત: સટકી જતો.

એનો શાશ્વત સંચાર આત્માના ક્ષેત્રમાં થતો,

છે એ દોડી રહ્યો બ્રહ્યજયોતિની પ્રતિ દૂરની,

બ્રહ્મશક્તિતણો છે એ શિશુ ને દાસ સેવતો.

મન સુદ્ધાં પડે પાછું અનામી એક શૃંગથી.

૪૩


વિચાર-દૃષ્ટિની પાર આત્મસત્-તા રાજાની વિસ્તરી ગઈ.

કેમ કે નિત્ય છે આત્મા, નથી એ સરજાયલો,

વિચારણાથકી એનું માહાત્મ્ય જનમ્યું નથી,

અને વિચારણા દ્વારા એનું જ્ઞાન ન આવતું.

પોતાને જાણતો પોતે, પોતે પોતામહીં રહે,

જ્યાં વિચાર નથી યા જ્યાં નથી રૂપ ત્યાં એની થાય છે ગતિ.

પદ એના સ્થપાયેલા છે સાન્ત વસ્તુઓ પરે,

પાંખો એની હામ ભીડી શકે પાર કરવાની અનંતને.

મોટા અને ચમત્કારી મેળાપોનું સ્થાન અદભુત એક ત્યાં

દૃષ્ટે એની પડયું એનાં પગલાંને નિમંત્રતું,

વિચાર પાર છે એવા એક દર્શનની પરે

જ્યાં વિચાર અવલંબન રાખતો

ને અચિંત્યથકી એક સૃષ્ટિને રૂપ આપતો.

પગલાં ભરવાને જ્યાં કલ્પના શક્તિમાન ના

તેવાં શિખરની પરે,

અશ્રાન્તા દૃષ્ટિનાં દિક્-ચક્રની મહીં,

શાશ્વતીના નીલવર્ણા અવગુંઠનની તળે

આદર્શ મનની ભવ્ય દીપ્તિઓ દૃષ્ટિએ પડી,

સીમાઓ પાર વિજ્ઞાત વસ્તુઓની જે હતી દૂર વિસ્તરી.

જે અલ્પ આપણે છીએ તેનું ઉદભવ-સ્થાન એ,

ને આપણે થવાનું છે જે અપાર વધારે તે વડે ભર્યું,

માનવી બળથી થાય તે સૌ કેરા આધાર સ્તંભરૂપ એ,

ધરાએ ન કરી સિદ્ધિ તે આશાઓતણું સર્જન એ કરે,

વિસ્તાર પામતા વિશ્વ પાર વિસ્તાર પામતું;

પાંખો એની પહોંચે છે સીમાઓ પાર સ્વપ્નની,

પ્રાણના ઊડણે છે જે પરાકાષ્ઠા તેની ઉપર એ જતું.

પરિબદ્ધ વિચારે ના, એવા જ્યોતિર્મય લોકે સજાગ એ,

ખુલ્લું પડેલ સર્વજ્ઞ બૃહત્તાઓતણી પ્રતિ,

નિજ-રાજ-પ્રભાવો એ નાખે છે હ્યાં આપણા જગની પરે,

મન્થર ઘટિકાઓના વેગથી કૈં બઢી જતો

પોતાનો વેગ આપતું,

અજેય ભાવથી કાળે પગલાં ભરતી જતી

પોતાની શક્તિ અર્પતું,

પ્રભુ ને માનવી વચ્ચે રહેલી ખોહની પરે

૪૪


સેતુનું કરતાં કાર્ય સ્વ-સામર્થ્યો સમર્પતું,

અવિદ્યા ને મૃત્યુ સામે ઝૂઝે એવી નિજ જ્યોતિ ઉતારતું.

જ્યાં સૌન્દર્ય અને શક્તિ મિલાવીને હાથ શું હાથ ચાલતાં,

ત્યાં વિશાળા નિજ ક્ષેત્રે આદર્શ અવકાશના

પરમાત્માતણાં સત્યો રૂપ લે છે જીવંત દૈવતોતણું

ને તે પ્રત્યેકની પાસે અધિકાર છે લોક સર્જવાતણો.

શંકા- સ્ખલન ના જેને કાળો ડાઘો પોતાની ભ્રષ્ટતાતણો

લગાડી શકતાં એવી હવામહીં,

અચૂક જ્યોતિમાં જોતા સત્ય કેરા

ચિંતને મગ્ન એકાંતતણા સંપર્કમાં રહી,

જ્યાં દૃષ્ટિ લથડતી ના ને વિચાર ભમે ન ત્યાં,

આપણા લોકના ભારે હદપાર

અશ્રુઓના વેરાથી મુક્તિ મેળવી,

સ્વપ્નસેવી પ્રકાશંતી એની રચેલ સૃષ્ટિઓ

શાશ્વતીમાં રહેનારા ભાવકલ્પો મીટ માંડી વિલોકતી.

આદર્શ-રાજયગાદીના પ્રભુઓ ઊર્ધ્વ લોકમાં

પ્રજવલંતા સૂર્ય જેવા હર્ષમાં ને સાવ સંપૂર્ણ શાંતિમાં,

જ્યોતિની ખાટતરીવાળા પ્રદેશોમાં સુરક્ષી સુખશાંતિની

સંસદોમાં વિરાજતા.

છે ઘણા દૂર એ દેશો આપણા શ્રમકાર્યથી,

આપણી ઝંખનાથી ને પુકારથી,

નિશ્ચયાત્મકતા-હીન વિચારોને કાજ માનવ ચિત્તના

બંધ છે પૂર્ણતા કેરું રાજ્ય ને છે બંધ મંગલ મંદિર,

મર્ત્ય જીવનનાં મેલાં પગલાંથી દૂર છે દૂર એ બધું.

પરંતુ આપણા ગૂઢ આત્માઓ છે એના નજીકના સગા,

તેથી જ્યાં આપણે મોટો શ્રમ સેવી રહ્યા છીએ

તે અપૂર્ણ ધરાએ આ અપ્રાપ્ત દિવ્યતાતણો

ઉચ્છવાસ મળવા માટે રહે છે એક આવતો;

વિલસંતા વ્યોમ કેરા હેમ શા હાસ્યમાં થઇ

આપણાં વાજ આવેલાં અતૃપ્ત જીવનો પરે

પ્રકાશ પડતો, અને

આદર્શ ભુવાનોમાંથી આવે એક વિચાર ઊતરી અહીં,

ને મર્ત્ય આશની પ્હોંચ પાર આવેલ એમની

મહત્તાની, માગણીની અને અદભુતતાતણી

૪૫


પ્રતિમા કો નવે રૂપે અહીંયાં પણ સર્જવા

માટે આપણને આપી પ્રેરણા એ ચલાવતો.

દુ:સહ દિવસો કેરી એકસામાન્યતામહીં

માનુષી ધર્મધારાઓ દ્વારા ખંડન પામતી

શ્રદ્ધા સાથી બની રે'તી જગના સુખદુઃખની,

બચ્ચું એ ગૂઢ આત્માની નિષિદ્ધા આસ્પૃહાતણું

શાશ્વતી પરના એના પ્રેમમાંથી પ્રજાયલું.

આસપાસતણો ઘેરો તોડી આત્મા આપણા મુક્ત થાય છે;

ભાવી નિજ ચમત્કારી મુખ આણે સમીપમાં,

ન્યાળે આપણને એનો દેવ નેત્રો લઈને વર્તમાનનાં;

અશકય જે માનતી 'તી તે ક્રિયાઓ બની સહજ જાય છે;

લહેતા આપણે વીરવર કેરી અમર્ત્યતા,

મર્ત્ય અંગોમહીં, બંધ પડતાં હૃદયોમહીં

જાગે સાહસ ને શક્તિ, મૃત્યુ જેને સ્પર્શવાને સમર્થ ના;

મર્ત્ય કાળતણી ધીરી ઢસડાતી ચાલને તુચ્છકારતો

સંક્લ્પાવેગ વેગીલો બને ચાલક આપણો.

ના આ પ્રોત્સાહનો આવે કો વિદેશીય વિશ્વથી:

છીએ નાગરિકો પોતે આપણે એ માતૃભૂમિક રાષ્ટ્રના,

દ્રવ્યની રાત્રિના હામ ભીડીને હ્યાં બનેલા અધિવાસીઓ.

હવે પરંતુ પામ્યા છે બાધાઓ હક આપણા, 

પારપત્રો આપણાં રદ છે થયાં;

રહેતા આપણા દિવ્ય ધામમાંથી દેશપાર સ્વયં થઇ.

અમર્ત્ય મનના એક ભૂલા પડેલ રશ્મિએ

પૃથ્વીની અંધતા કેરો અંગીકાર કર્યો અને

આપણો માનવીઓનો એ વિચાર બની ગયું

અવિદ્યાને નિષેવતું.

નિર્વાસિત અને કામે લાગેલું આ અનિશ્ચિત ધરા પરે

અજ્ઞાન પકડે પ્રાણ કેરી હંકાઈ ચાલતું,

તમોગ્રસ્ત કોષથી ને દગો દેતી શિરા વડે

બાધાબદ્ધ બની જતું,

અચ્ચુત દેવતાઓનો છે સ્વાભાવિક જે હક

તે  શર્મીય અવસ્થાઓ ને ઉચ્ચતર શક્તિઓ

કેરાં સ્વપ્ન નિષેવતું,

હજી એ કરતું યાદ નિજ જૂના ગુમાવેલા પ્રભુત્વને.

૪૬


પૃથ્વીના ધુમ્મસે, કીચે અને પથ્થરની વચે

હજી એ કરતું યાદ પોતાના ઊર્ધ્વ લોકને

ને પોતાના ઊર્ધ્વવર્તી પુરને ભવ્ય જન્મના.

લપાતી એક આવે છે સત્ય કેરા લુપ્ત સ્વર્ગતણી સ્મૃતિ,

સમીપે એક આવે છે મહામોક્ષ, મહિમા સાદ આપતો,

ડોકિયું કરતું એક મહા-ઓજ અને એક મહામુદા

અળગી જે આપણાથી થયેલ છે.

મનોમોહક માર્ગોમાં અર્ધ-આવૃત જ્યોતિના

રોશનીદાર પોતાની છાયારૂપે ભટકયા કરનાર એ,

આ અંધ દેવતાઓનો ક્ષિપ્ર નેતા અનિશ્ચયી,

સંભાળનાર નાના શા દીપકોનો, સેવાસાધક દાસ આ,

પાર્થિવ ઉપયોગાર્થે

મન ને દેહના દ્વારા મ્હેનતાણો રખાયલો,

અશિષ્ટ સત્યતાઓની વચ્ચે ભૂલી પોતાનું કામ જાય છે;

તે ફરી મેળવે પાછો પરિત્યક્ત પોતાનો હક રાજવી

એકવાર ફરી ધારે નિજ જામો જામલી એ વિચારનો,

અને આદર્શનો દ્રષ્ટા અને રાજા છે પોતે એ પિછાનતું,

અજન્મા સાથ સંપર્ક કરાવી આપનાર ને

પેગામો લાવનારું છે પોતે એ સમજી જતું,

અને જાણી હતું લેતું કે આનંદ અને અમરતાતણો

પોતે વારસદાર છે.

અહીં જે માત્ર સ્વપ્નાં છે તે સાચી વસ્તુઓ બધી,

અજ્ઞાત આપણાં ઊંડાં ગહવરોમાં

છે સૂતેલો તેમનો સત્યનો નિધિ,

આપણાં અણ-પ્હોંચાયાં શૃંગોએ છે એમનું રાજ્ય ચાલતું,

વિચારમાં અને ધ્યાને

જ્યોતિના નિજ જામા એ પોતા પાછળ ખેંચતી

આપણી પાસ આવતી.

પરંતુ આપણી ઈચ્છાશક્તિ ને ભાવહીનતા

ભર્યું ઇન્દ્રિયનું જ્ઞાન વ્યવહારે જ વ્યાપૃત

વામણાં હોઈ ના લેતાં સત્કારી એ મહેમાનો સુરાલયી :

જુએ એ આપણી વાટ આદર્શ-શિખરો પરે.

સચવાઈ રહે યા એ અણદીઠ આપણા ગૂઢ આત્મમાં,

છતાં યે ઝબકે છે એ કો કો વાર જાગ્રતાત્મામહીં થઇ, 

૪૭


આપણાં જીવનોથી એ છુપાવેલો મહિમા નિજ રાખતા

નિજ સૌન્દર્ય ને શક્તિ સામે ના પ્રકટાવતા.

એમનો રાજવી સ્પર્શ

કો કો વાર લહેવાતો આપણા વર્તમાનમાં,

એમનાં લસતાં સિંહાસનો પ્રત્યે મથે છે ભાવી આપણું :

અધ્યાત્મ ગૂઢતામાંથી બ્હાર એ દૃષ્ટિ નાખતા,

મનના ગલિયારામાં પગલાંઓ ધ્વને અમર એમનાં :

જ્યોતિની ભૂમિકાઓમાં

આરોહીને જવા આત્મા આપણા શક્તિમાન છે,

જે મહાવિસ્તરોમાંથી આવ્યા છે એ

તે આવાસ આપણો સંભવી શકે.

પુનઃપ્રાપ્ત થતાં સ્વીય અધિકાર છાયારહિત જ્યોતિનો

અમરોની હવામાંહે મનીષી એ રાજા અવ પ્રવેશતો

અને વિશુદ્ધ ઓજસ્વી નિજ સ્રોતે કરતો પાન એ પુનઃ

અવિકારી તાલબદ્ધ શાંતિ ને સંમુદામહીં,

રાજસ્વતંત્રતાભોગી સીમામુક્ત પ્રકાશમાં

જોઈ એણે ભૂમિકાઓ ચ્યુત જે ન થઇ હતી,

જોયાં જગતને એણે સંકલ્પે સરજાયલાં,

જ્યાં જ્ઞાન કર્મને દોરી જાય છે ને

જડદ્રવ્ય બનેલું છે વિચારંત પદાર્થનું,

ભાવ છે જ્યાં સ્વપ્નસેવી પાંખો ઉપર ઊડતા

પંખી શા સ્વર્ગલોકના,

જેમ મા ને બાપ કેરા અવાજને

સત્યના સાદને તેમ પ્રતિ-ઉત્તર વાળતો,

આકાર સર્વને દેતા રશ્મિમાંથી

ઉલ્લસંતું રૂપ આવે છલંગતું,

દેવો કેરો સચૈતન્ય રથ સંકલ્પ છે જહીં

અને પ્રાણ દીપ્તિમંત છે પ્રવાહ ચિંતને લીન શક્તિનો

ઊંચકી લાવતો સૂરો ગૂઢના ભાસ્કરોતણા.

કાને કે'વાયલા સત્યતણું એ સુખ લાવતો,

અવકાશતણું હૈયું મધમીઠું બનાવતા

એના પ્રવાહમાં ધાવમાન જે એક હાસ્ય છે

તે આવે છે મૃત્યુમુક્ત ઉરમાંથી પરમોચ્ચ મુદાતણા,

એકાલતાતણો હર્ષ ત્યાં અગાધિત દોડતો,

૪૮


અવિજ્ઞાતે થતો જ્ઞાન કેરો તેમાં દોડતો મર્મરધ્વની

ને ઉચ્છવાસ ન દીઠેલી  એક અનંતતાતણો.

લસંતી સ્વચ્છતાઓમાં જંબુનીલમણિવર્ણ સમીરની

વિશૃંખલ અને સર્વશક્ત આત્મા મનોમય

આદર્શ-જ્યોતિના નીલ પદ્મ કેરી ચિંતના કરતો હતો.

અકાલ સત્યનો એક સ્વર્ગીય સૂર્ય સ્વર્ણનો

શબ્દે પ્રકાશના કંપમાન મૌનમહીં થઇ

આવિષ્કારતણા અંતહીન સાગરની પરે

રહસ્યમયતા રેલતો 'તો શાશ્વત જ્યોતિની.

જોડાતા ગોલકો જોયા રાજાએ દૂર દૂરમાં.

છેલ્લી જ્યાં કાળની ટૂકો સ્પર્શતી 'તી વ્યોમોને શાશ્વતીતણાં,

અને પ્રકૃતિ જ્યાં વાતો કરે છે કેવલાત્મ શું,

ત્યાં સમાધિલય પ્રત્યે ધ્યાનકેરી આરોહંત કિનાર પે

અજન્મા ઊર્ધ્વતાઓએ ચડતી 'તી સીડી વિચારની.

 

રાજ્ય ત્રયતણું આવ્યું પહેલું તો વ્યવસ્થિત વિચારનું,

નાનો આરંભ નિઃસીમ આરોહણાર્થ ઊર્ધ્વના :

મનોવ્યોમો ઇથરીય પ્રકાશંતાં હતાં ઉપરની દિશે,

જ્યોતિના બુરાજોવાળા શૂન્યે ટેક્યાં, નભને નભ દાબતું

હોય ના તેમ કૈં ગાઢ ને અનંત હતું ઊડણ ઊર્ધ્વનું;

એમનું ઉચ્ચમાં ઉચ્ચ

મથતું 'તું બની જાવા પડોશી શાશ્વતીતણું

હતું વિસ્તરતું સૌથી વિશાળું તે ભળી જાવા અનંતમાં.

કિંતુ અમર ઓજસ્વી અને દિવ્ય

હોવા છતાં પ્રદેશો જે આરંભે આવતા હતા

માનવી મનની પાસે હતા તે ને તેના સગા થતા હતા;

માર્ગો વિચારણાના જે છે મહત્તર આપણા

તેમને એમના દેવો દ્વારા રૂપ અપાય છે,

એમના બળનો અંશ આપણો સંભવી શકે :

આપણા અંતરાત્માઓતણી પ્હોંચ

માટે વિશાળતાઓ આ ગજા બ્હારતણી ન 'તી,

માનુષી આશને માટે

વધારે પડતાં ઊંચાં આ ઊંચાણો હતાં નહીં.

ત્રિગુણોડ્ડયન દ્વારા પહોચાતું હતું ત્રિગુણ આ જગે.

૪૯


સામાન્ય બળને માટે સાવ સીધો હતો ઊભેલ તે છતાં

ઢોળાવા ઊર્ધ્વનો એનો આપણી પૃથિવીતણી

સમાવસ્થા પરે નીચી દૃષ્ટિએ ન્યાળતો હતો :

અતિશે જે નથી ઊભો ઢોળવાની પરે

ઊંડા ઊતરતા રેખામાર્ગો પર મુસાફરી

કરી વળી શકાતું 'તું

ને મર્ત્યોના લોક સાથે વ્યવહાર બની શક્ય જતો હતો.

સર્વ-સ્રષ્ટા શબ્દ સાથે કરવાને કાર્ય મધ્યસ્થતાતણું

ઊંચે જનાર સીડીના મહાસમર્થ રક્ષકો

વાટ જોતા હતા સ્વર્ગધામ પ્રત્યે જતા યાત્રિક જીવની;

એમના હાથમાં પાર કેરી ચાવી હજાર છે,

ચડતા મનને તેઓ જ્ઞાનસેવા હતા નિજ સમર્પતા,

ભરી જીવનને દેતા આનંત્યોથી વિચારનાં.

શ્રુતિશાળી હતા તેઓ વ્યાખ્યાતાઓ નિગૂઢ ધર્મતત્વના,

દિવ્ય સત્યતણા તેઓ મહાચાર્યો જ્વલતા જવાલના સમા,

મનુષ્યના અને ઈશ કેરા ચિત્ત વચ્ચે તેઓ દુભાષિયા,

મર્ત્યોને કાજ લાવે છે તેઓ અમર અગ્નિને.

રંગોની દીપ્તિઓ ધારી એ સંમુર્ત્ત કરતા 'તા અદૃશ્યને,

સનાતનતણા દીપ્ત સોપાનોના હતા તેઓ સુરક્ષકો,

સુર્ય સંમુખ ઊભા 'તા રચી વ્યૂહો વિભાસ્વર.

દૂરથી દેખાતાં તેઓ લાગતા'તો પ્રતિકોની પરંપરા,

આદર્શ રશ્મિને દૃષ્ટિ આપણી જે છાયાલિપિ સમર્પીત

તેની પ્રકાશવંતી એ મૂળ એવી પ્રતો હતા,

યા ગુઢ સત્યને મૂર્ત્ત કરતી મૂર્તિઓ હતા,

કિંતુ પાસે જઈ જોતાં હતા તેઓ દેવો, સાન્નિધ્ય જીવતાં.

સૌથી નીચે હતાં જેહ સોપાનો ત્યાં ચલતી ચિત્રવલ્લરી;

તરંગી ભૂષણોવાળી અને નાની છતાં સંપન્નતા ભરી,

એક જગતના આખા આશયાર્થે એમનામાં જગા હતી,

એની સંપૂર્ણતા કેરા હર્ષનાં એ પ્રતીકો સૂક્ષ્મ શાં હતાં,

બળો પ્રકૃતિનાં જિંદા બન્યા 'તાં  ત્યાં વિચિત્ર પશુરૂપમાં,

અને સજાગ પોતાના પાઠ કેરી આશ્ચર્યમયતા પ્રતિ,

વિરૂપતા ન પામેલા પ્રભુ કેરી પ્રતિમા માનવી હતો,

સૌન્દર્ય-રાજ્યના સૌમ્ય સિક્કા શી વસ્તુઓ હતી;

વિશાળા કિંતુ વિસ્તારો હતા જેને એ સ્તરો સેવતા હતા

૫૦


ઊર્ધ્વે આરોહતા આવિર્ભાવ કેરી સંમુખે ત્યાં ખડા હતા

વેશ્વ-કાળતણા ભોક્તા, કૃપાપાત્રો વિશ્વની સંમુદાતણા,

વાસ્તવ વસ્તુઓ કેરા વિભુઓ ને પ્રભુઓ પ્રહરોતણા,

યુવા પ્રકૃતિ કેરા ને બાલ પ્રભુતણા સખા

લીલામાં સાથ આપતા,

દબાણે મનના છૂપા સ્રષ્ટાઓ સ્થૂલ દ્રવ્યના,

વિચારો સૂક્ષ્મ જેઓના

ટેકો આપી ટકાવે છે સંજ્ઞાવિહીન પ્રાણને,

ને દોરે છે સ્વૈરભાવી જડસી શી બનાવોની પરંપરા;

યુવાન દેવતાઓની તિક્ષ્ણદૃષ્ટિ ખડી સંતતિ એ હતી,

પ્રાજ્ઞતાની પૂર્વ ભોમે જન્મેલા રાજબાલકો

વિશ્વસર્જનની ગુહ્ય લીલા કેરું મળ્યું હતું

એની શાળામહીં શિક્ષણ જેમને.

બાજીગર હમેશાંનો છે જે તેના શિલ્પકારોતણા મુખી,

ઘડનારા, માપનારા સંવિભાજિત વ્યોમના,

ગુપ્ત ને જ્ઞાતની કીધી તેમણે છે પોતાની એક યોજના

અને અદૃશ્ય રાજાનું એને ધામ બનાવ્યું છે નિવાસનું.

શાશ્વતાત્માતણી ગૂઢ આજ્ઞાને અનુવર્તતાં

તેમણે વસ્તુઓ કેરા પદાર્થમય મોખરે

બાલાત્માઓ કાજ એક બાલમંદિર છે રચ્યું

વિશાળું વિશ્વરૂપ આ,

મન-ઇન્દ્રિયના દ્વારા શીખે છે શિશુ જીવ જ્યાં;

વૈશ્વિક લિપિના એ ત્યાં અક્ષરોને ઉકેલતો,

અભ્યાસ કરતો વિશ્વ-આત્મા કેરા શરીરનો,

અને અખિલના ગુપ્ત અર્થ કેરી કરતો એ ગવેષણા.

બ્રહ્યાત્મા કલ્પતો જે જે તે સૌ માટે બીબું તેઓ બનાવતા;

માનવી પ્રકૃતિને તે એની પાસે દૃશ્ય ભાવો ધરાવતા,

અનંત વસ્તુઓને એ એમ અંતવંત રૂપો સમર્પતા

સનાતનતણી શાંતિ કેરી છોડી વિશાળતા

કૂદી અવ્યક્તમાંથી જે શક્તિ પ્રાકટ્ય પામતી

તેને પ્રત્યેકને ઝાલી લઇ તેઓ નિયમો નિષ્ઠ આંખથી

વિશ્વના નૃત્યમાં તેને પાઠ લેવા પ્રયોજતા :

સંવાદી નિયમોથી એ બાંધી દેતા તેની મુક્ત તરંગિતા

અને જાદૂગરીમાંહે વ્યવસ્થાબદ્ધ વિશ્વની 

૫૧


એને એની ભંગિમા ને દિશા લેવા કેરી ફરજ પાડતા.

સર્વને જે સમાવે છે તે સમાઈ પોતે રૂપ મહીં જતું,

કંડારી એકતા કાઢી માપ્યા જાય જે તેવા એકમોમહીં,

વિશ્વના સરવાળાનું રૂપ આપ્યું સીમાઓથી વિમુક્તને:

ટીપીને વક્રરેખાનું રૂપ આપ્યું અનંત અવકાશને,

અવિભાજ્ય કાળ નાની પળોમાં પલટાવિયો,

રહસ્યમયતા રૂપે ઢળાયેલા અરૂપની

રહે રક્ષાયલી, માટે પિંડબદ્ધ બનાવ્યું અતિસૂક્ષ્મને.

જાદૂ ક્રમિક સંખ્યાનો, મંત્ર સંજ્ઞાતણો તથા

અપરાજેયતા સાથે તેઓ કેરી કરામતો

લેવાય ઉપયોગે એ રીતે પ્રયોજતી હતી,

સૌન્દર્યે ને સાર્થતાએ લદાયલી

પકડતી હતી તન્ત્ર યન્ત્ર શક્તિ ચમત્કારકતાભરી,

નિર્ણયાત્મક તેઓના દૃષ્ટિદત્ત નિદેશથી

રૂપ ને ગુણ સંયુક્ત બનતાં સમતા ધરી,

અળગાં કરવાં શક્ય નહીં એવાં એકરૂપ બની જતાં.

પ્રત્યેક ઘટના પરે

મુદ્રિત કરતા તેઓ ચાપાકારો તેના વિધિવિધાનના,

સોંપણી ને કાર્યભાર કેરી છાપ લગાવતા;

મુક્તભાવી અને દિવ્ય એ પ્રસંગ રહે ન 'તી

પ્રત્યેક પળ ઈચ્છાથી પ્રેરાતી, યા ન 'તું સાહસ જીવનું,

ન 'તી રેખા દૃષ્ટપૂર્વે નાફરે યોજનાતણી,

લાંબી બનાવતી 'તી એ દૈવ-બદ્ધ એક નિગૂઢ શૃંખલા,

અવશ્યંભાવિતા કેરી લાંબી કૂચે

વધારાનું ડગલું એક એ હતી.

મર્યાદા એક બંધાઈ હતી એકેએક ઉત્સુક શક્તિની

ઈજારે જગને લેવા કેરી એની ઈચ્છાને અવરોધતી,

સામર્થ્ય ને ક્રિયા માટે કાંસ્ય ચીલો હતો નક્કી કરાયલો,

પ્રત્યેક પળને એનું સ્થાન નક્કી કરી અપાયેલું હતું,

શાશ્વતીથી ભાગનારા ભીમકાય કાળના ગાળિયાતણે

ગૂંચળે સ્થાન એ પૂર્વે સંકલ્પેલું બદલ્યું બદલાય ના.

અંકોડા શા દૈવ કેરા દુર્નિવાર એમના જે વિચાર, તે

કૂદકાની અને વીજવેગવંતી મનની દોડની પરે,

દુર્બળાં ને દૈવયોગી પ્રાણ-પ્રવાહિતા પરે,

૫૨


અણુજાયી વસ્તુઓની સ્વતંત્ર વૃત્તિની પરે

સ્થિર કારણ ને વજ્રકઠોર પરિણામનું

નિર્માણ લાદતા હતા.

ભાવનાએ તજી દીધી સહજતા અસીમતા

માટી જેવા રૂપગ્રાહી સ્વભાવની

ને એને બદલે કોક કથાવસ્તુ સમાન સંકળાયલાં

પગલાંઓ કર્યાં અંકિત આગવા :

હતું અમર જે એકવાર કિંતુ

હવે પડયું હતું બંધ જન્મ ને અવસાનના,

તત્ક્ષણા ને ન સ્ખલંતી દૃષ્ટિથી વિરહાયલું,

અનુમાનતણા કોષો દ્વારા પુનઃ રચાયલું

જ્ઞાન શ્લથ અને નાશવંત દેહે હતું સ્થિર સ્થપાયલું;

આમ બંધાયલું વૃદ્ધિ પામતું એ, કિંતુ ના શકતું ટકી,

અને તૂટી પડી પોતે નવી એક વિચારણા

કેરા શરીરને માટે નિજ સ્થાન તજી જતું.

અનંતના વિશાલાક્ષ વિચારો દેવદૂત શા,

તેમને પૂરવા માટે રાખ્યું 'તું એક પાંજરું,

વિશ્વના નિયમો રૂપી સળિયાઓ

આડા-ઊભા ગ્રથી એને હતું બંધ કરાયલું,

અને દિક્-ચક્રની નાની વક્રરેખાતણા વાડોલિયામહીં

અનિર્વાચ્યતણી ઇન્દ્રધનુરંગ રમ્ય ધારંત દર્શના

ઘેરી રખાયેલી હતી.

આત્મા અકાળ જે તેને

બનાવાયો હતો બંદી કાળની ઘડીઓતણો;

ગ્રહી મન શકે જેને ને ચલાવી શકે શાસન જે પરે

એવું જગ બનાવવા

જન્મના કેદખાનામાં હતો નાખ્યો અસીમને.

હજારો સુર્યની પ્રત્યે દૃષ્ટિપાત કરનારી ધરા પરે

જે સર્જાયેલ છે તેહ બને પ્રકૃતિનો પ્રભુ,

ને ઊંડાણો દ્રવ્ય કેરાં બને દીપ્ત ચિદાત્મથી,

તે માટે તિથિ, ઢાળો ને મર્યાદાબદ્ધ ક્ષેત્રની

સાથે છે એમણે બાંધી

ગતિ કોટિક ગુહ્યોએ ભરેલી ' एक एव ' ની. 

૫૩


શ્રેણિબદ્ધ હતી ઊંચે જાતિ એક સર્વોચ્ચ દેવદૂતની,

વિશાળાક્ષી દૃષ્ટિએ જે ખોજતી 'તી અદૃષ્ટને.

એમનાં લોચનોમાંનાં મૌનપૂર્ણ ઊંડાણો મધ્યમાં થઇ

હતી પ્રકાશતી જ્યોતિ જ્ઞાનની મુક્તિ અર્પતી;

મનમાં તે રહેતા 'તા ને અંત:સ્થ રહીને સત્ય જાણતા;

એકાગ્ર હૃદયે એક દૃષ્ટિ પાછી સંકેલીને રખાયલી,

કાળનાં પરિણામોના પડદાની ને દૃશ્ય વસ્તુઓ તણા

પાકા ઢાળાતણી અને

રૂપ કેરી આરપાર જોવા સમર્થ એ હતી.

જે વિમર્શતણા તંગ પાશથી છટકી જતું

તે સૌને દર્શના જોતી અને પકડતી હતી;

ઢૂંઢતા ઇન્દ્રિયજ્ઞાને રાખેલાં રિક્ત સ્થાનને

દૃષ્ટિસંપન્ન તેઓના વિચારો પૂરતા હતા.

શકયતાના હતા મોટા શિલ્પીઓ એ, ઈજનેરો અશક્યના,

હતા અનંતતાઓના ગણિતે તે વિશારદો,

હતા અજ્ઞેય સત્યોના તેઓ સિદ્ધાંતવાદીઓ,

સમસ્યાની નિર્વિવાદ વસ્તુતાનાં સૂત્ર એ રચતા હતા.

તેઓ અજ્ઞાતને દૃશ્ય જગતોની સાથે સંયોજતા હતા.

પરિચારક ભાવે એ કાલાતીત શક્તિને સેવતા હતા,

તેના કર્યોતણાં કાલચક્રો કેરી

ગતિની એ કરતા 'તા ગવેષણા;

વટાવી વાડ નિ:શબ્દ એની એકાંતતાતણી

નિગૂઢ મનમાં એના શકતું 'તું પ્રવેશી મન એમનું,

એના ગુપ્ત વિચારોનો રેખાલેખ આંટી એ શકતું હતું; 

શક્તિએ સીલ કીધેલી સંહિતાઓ

ને સંકેતાક્ષરો તેઓ ઉકેલતા,

એનાં રક્ષિત રાખેલાં સર્વ આયોજનોતણી

લેતા એ નકલો કરી,

એના નિગૂઢ પ્રત્યેક  ક્રમણાના માર્ગ કેરા વળાંકનું

કારણ આપતા 'તા ને સ્થિર એનો નિયમેય બતાવતા.

અદૃષ્ટ બનતું દૃશ્ય અભ્યાસી આંખની કને,

સમજાવાઈ જાતી 'તી અચિત્ કેરી મોટી બેહદ યોજના,

સાહસી રેખ દોરતી શૂન્યાકારતણી પરે;

સમચોરસરૂપે ને ધનરૂપે

૫૪


પલટાવી નાખવામાં આવતું 'તું અનંતને.

પ્રતીકની અને એના અર્થની રચના કરી,

આલેખી વૃત્તરેખાને પારની એક શક્તિની,

વૈશ્વ નિયમના ગૂઢ જ્ઞાનનું એ ચોકઠું રચતા હતા,

ને શોધી કાઢતા હતા 'તા એ

રેખા સમતુલા દેતી જિંદગીના  શિલ્પ કેરા વિધાનની,

ને એના જાદુ કેરી ને રહસ્યમયતાતણી

બાંધતા 'તા ઈમારતો.

યોજનાઓ જ્ઞાન કેરી લાદી વિરાટની પરે,

અનંત ચિતિની મુક્ત  યુક્તિ તેઓ

સાન્ત વિચારને તકેં ઠોકી બેસાડતા હતા,

લયો પ્રકૃતિના નૃત્યતણા ગુપ્ત વ્યાકૃત કરતા હતા, 

ભુવનોના નાટ્ય કેરું કથાવસ્તુ હતા તેઓ સમીક્ષતા,

જે કૈં અસ્તિત્વમાં છે તે સર્વ માટે

રેખાંકન અને અંક ચાવી રૂપ બનાવતા :

વિશ્વાત્માના મનોવિશ્લેષણ કેરો પત્તો તેઓ લગાવતા,

રહસ્યો એહનાં પીછો લઇ પકડતા હતા,

અદ્વિતીયતણું રોગનિદાનશાસ્ત્ર વાંચતા.

સંભાવીની પદ્ધતિની થઇ નિર્ધારણા હતી,

ભાગતી શક્યતાઓનાં જોખમોનો અંદાજ નીકળ્યો હતો,

યથાર્થ વસ્તુઓ કેરો બેહિસાબ સરવાળો બનેલ તે

સાચો બતાવવા માટે ' ‍‌‌‌‌‍‍‍‍‌‌ લોગેરિધમ ' કોષ્ટકો

અવશ્યંભાવિતા કેરાં હતાં દોરી કઢાયલાં,

વ્યવસ્થાબદ્ધ કીધી 'તી ' एक ' ની ત્રિવિધા ક્રિયા.

પડદો ખસતાં એક ઓચિંતાંનો અદૃશ્ય શક્તિઓતણો

સમૂહ ગોળ ઘૂમંતો યદ્દચ્છાના હસ્તથી બ્હાર નીકળી

પડયો દૃષ્ટે કો વિરાટ આદેશવશ વર્તતો :

એ બળોના ગૂંચવાળા

ઉદ્દેશોના કાર્ય દ્વારા સધાતી એકતા હતી.

એમનેય ન જે જ્ઞાત તે મનોભાવ તેમનો

પ્રજ્ઞા એક તેમને સમજાવ

અરાજકપણું તેઓ કેરું એક સૂત્રે ઠાંસી ભરી દઈ,

એમના ઓજના જંગી નિરુદ્દેશપણાને લક્ષ્માં લઇ,

કૈં લાખો માર્ગ લેવાની તેઓ કેરી ટેવના અનુસારમાં,

૫૫


નાફેર ગુપ્ત રાખેલી યોજનાની અલ્પમાં અલ્પ રેખની

અને સ્પર્શ કેરી વિવેચના કરી,

અદૃશ્યના મનોભાવો કેરા અંધેરમાંહ્યથી

ભાવિનિર્માણનો કેલ્કયૂલસ સંકલતી હતી,

વિશ્વગ્રાહક વિધાના ઉજ્જવલંત એહના અભિમાનમાં

મનનું જ્ઞાન સર્વજ્ઞ કેરી શક્તિથકી ઊંચે ચઢી જતું :

ઊડતાં ગારુડી પાંખે સામર્થ્યો શાશ્વતાત્મનાં

ઓચિંતા પકડાતાં 'તાં વણ-માર્ગ્યો તેમના વ્યોમની મહીં,

વિચારના ઈશારાને વશ તેઓ

પોતાનાં ચક્કરોમાંથી ઝૂકી ઊતરતાં હતાં:

પ્રત્યેક દેવતા ભેદી સ્વરૂપ પ્રકટાવવા

વશ બેળે થતો હતો,

અને પ્રકૃતિની બાજીમહીં સ્થાન નિજ નિશ્ચિત એ લઇ

શેતરંજી ખેલનારી ઇચ્છાના અણસારથી

વૈશ્વિક ભાગ્યને પાટે વાંકીચૂંકી ચાલમાં ચાલતો હતો.

અવશ્યંભાવિતા કેરાં પગલાંના પૃથુ ક્રમે

પ્રત્યેક પ્રભુનું કાર્ય સવિચાર પૂર્વથી જ ભખાયલું.

ને હિસાબી મન દ્વારા મૂલ્યમાં મૂલવાયલું,

ને ગાણિતિક એનામાં જે સર્વશક્તિમત્ત્વ છે

તેનાથી મેળવાયલું,

ચમત્કારતણું એનું દિવ્ય રૂપ ગુમાવતું,

વૈશ્વિક સરવાળામાં બનતું એક આંકડો.

મહાસમર્થ માતાના મીઠડા ને ભાવોદ્રેક વડે ભર્યા

મુક્ત હૈયામહીં જે હર્ષણા હતી

સર્વપ્રજ્ઞાનસંપન્ન ને ન શાસિત કોઈથી,

તેમાંથી જન્મ પામતા

એના ધૂની તરંગો ને મનોભાવો વીજની ઝડપે ભર્યા

તેમનું તત્વ આશ્ચર્યમય જાય હરાઈ ને

તેઓ કારણ ને લક્ષ્ય સાથે એક સંકળાઈ જતા હતા;

વિશ્વકાય વિરાટોની ગતિઓને જેહ બંદી બનાવતી

તે ગૂઢાકૃતિનું તેની સ્થાન લેતી પ્રતિમા એક કાંસ્યની,

આદર્શ એક મુખની યથાર્થ રૂપરેખામાં

પાંપણો પરની એની સ્વપ્નછાપ ભુલાયેલી હતી તહીં,

અનંતતાતણાં સ્વપ્નાં વહેવનારી નિજ બંકિમતા પરે, 

૫૬


લોભાવનાર આશ્ચર્ય એની આંખોતણું લુપ્ત થયું હતું;

એના સાગર શા મોટા હૈયા કેરા ધબકારા તરંગતા

સુવ્યવસ્થિત તાલોના કોઈ એક તરંગ શું

તેઓ બદ્ધ બનાવતા :

પોતાના ગહનોદ્દેશો જે પોતાથીય તે આવૃત રાખતી

તે પોતે પ્રકટી ઊઠી ઝૂકતા 'તા

તેઓ કેરી સ્વીકારપીઠિકામહીં.

જગતોના જન્મ-મૃત્યુ કાજ તેઓ નક્કી કો કરતા તિથિ,

દોરતા 'તા વ્યાસ અનંતતાતણો,

અદૃષ્ટ શિખરો કેરી દૂરવર્તી કમાનનું

લેવામાં માપ આવતું,

અગાધાદૃશ્ય ઊંડાણો જોવામાં આવતાં હતાં,

કે જેથી સર્વ કાળે છે શક્ય સંભવ જેહનો

તે વિજ્ઞાત બનેલું લાગતું હતું.

સંખ્યા, નામ અને રૂપ દ્વારા સૌ નિગ્રહાયલું;

અસંખ્ય ને અસંખ્યેય જેવું કાંઈ રહ્યું ન 'તું.

છતાંયે તેમનું જ્ઞાન મીંડાની મધ્યમાં હતું :

શોધી તે શકતા સત્યો, ધારીય શકતા હતા,

કિંતુ છે જે એકમાત્ર સત્ય તે મળતું નહીં :

સર્વોચ્ચ તેમને માટે અવિજ્ઞેય રહ્યું હતું.

અતિશેને જાણવાથી જાણવાને યોગ્ય અખિલ જે હતું

તેને તે ચુકતા હતાં :

અગાધ વિશ્વનું હૈયું અરીર્કિત રહ્યું હતું,

ને પરાત્પર છે તેણે રાખી 'તી નિજ ગુહ્યતા.

 

ત્રિગુણાત્મક સીડીના ઉદાર શિખર પ્રતિ

લઇ જતું હતું એક ઉદાત્તતર ઊડણ

વધુ સાહસથી ભર્યું,

ઝગારા મારતા સ્વર્ણ શૈલો જેવાં ખુલ્લાં સોપાન ત્યાં હતાં,

પ્રજવલંત કરી માર્ગ છેક ઊંચે જતાં કેવળ અંબરે.

થોડા ને ભવ્ય છે રાજરાજવીઓ વિચારના

બનાવ્યો છે જેમણે અવકાશને

ક્ષેત્ર નિજ વિશાળી ને સર્વદર્શન દૃષ્ટિનું

કાળ કેરું બેશુમાર મોટું કાર્ય સર્વત: અવલોકતી :

૫૭


પૃથુતા ચેતના કેરી પોતાનામાં સર્વ કાંઈ સમાવતી

સ્પંદહીન સમાશ્લેષે સદાત્માને આધાર આપતી હતી.

પ્રકાશમાન અદૃષ્ટ એક સાથે બન્યા મધ્યસ્થ એ હતા,

પૃથ્વીએ પ્હોંચતા લાંબા સંચારમાર્ગની પરે,

અજ્ઞ પૃથ્વી જેમને અનુવર્તતી

અને સજ્ઞાન સ્વર્ગોયે જેમને વશ વર્તતાં

તે વિધાનો વિધાતાનાં હતા તેઓ છુપાવતા;

વિચારો તેમના ભાગીદારી રાખે એના વિશાળ શાસને,

સર્વ-શાસક છે એક મહતી ચેતના તહીં

અને મન સમર્પે છે કો ઉચ્ચતર શક્તિને

સેવા નિજ અજાણતાં;

છે એ વહનને માટે ન્હેર, ના મૂળ સર્વનું.

નથી વિશ્વ અકસ્માત થયેલો કાળને વિષે;

છે અર્થ એક પ્રત્યેક લીલામાં દૈવયોગની,

પ્રત્યેક મુખ-પાસમાં દૈવના છે સ્વતંત્રતા.

પ્રજ્ઞા એક પિછાને છે ને દોરે છે રહસ્યમય વિશ્વને;

સત્તવોને ને બનાવોને એના સત્ય-મીટ આકાર આપતી;

સ્વયંભૂ એક છે શબ્દ સૃષ્ટિનાં શિખરો પરે,

કાળનાં ભુવાનોમાં એ સ્વર છે શાશ્વતાત્મનો,

કેવળ બ્રહ્ય કેરાં એ દર્શનોનો દૂત સંદેશ લાવતો,

ભાવાર્થ ભાવનાનો એ રોપે છે રૂપની મહીં,

અને એ બીજ માંહેથી ઉદભવે છે વિકાસો કાળના બધા.

આપણા જ્ઞાનની સીમા પારનાં શિખરો પરે

સર્વજ્ઞાનમયી પ્રજ્ઞા વિરાજતી :

આવે છે ઊતરી એકમાત્ર અચૂક ઇક્ષણ,

ઊર્ધ્વમાંની હવામાંના એક નીરવ સ્પર્શથી

અવચેતન ઊંડાણોમાંની ગુપ્ત શક્તિ જાગ્રત થાય છે

ને એને થાય છે ભાન નિજ કાર્યોમાંના અજ્ઞાન જ્ઞાનનું,

પાડે ફરજ એ ઊંચે આવવાની અંધા બનેલ દેવને,

ઘડીયોના ગોળમાંથી એ પસાર થતાં થતાં

ને અંતવંત આંખો લે પીછો ત્યાંથી અંતર્ધાન થતાં થતાં,

કલ્પકાળતણા ગોળ ઘૂમરાતા વિસ્તારોને પટે પટે,

અવશ્યંભાવિતા કેરું અસંસ્કારી નૃત્ય નક્કી કરંત એ.

વિશ્વની ઘૂમરી કેરાં બલો અગ્રાહ્ય-રૂપ છે;  

૫૮


દૈવ જેને કહેવાતું તે આદિ પૂર્વદૃષ્ટિની

સ્થિરતા ધારતાં તેઓ મદમાતાં પોતનાં અંગની મહીં.

પ્રકૃતિ કેરું અજ્ઞાને સત્યનું હથિયાર છે;

ગતિ બદલવા એની છે અશક્ત આપણું મથતું અહં :  

છતાંયે આપણામાં જે શક્તિ કાર્ય કરે છે તે સચેત છે, 

અને સંકલ્પનું બાળ ન પ્રીછેલું છે દૈવભવિતવ્યતા. 

આદેશ આપતી સત્યતણી દૃષ્ટિ વડે બધા

જીવો પ્રકાશમાં લાવે વિના ચૂક નિજ ગુપ્ત સ્વરૂપને,

પોતામાં જે છુપાવે છે તે થવાની પડે ફરજ એમને.

કેમ કે જે  'છે'  થતો તે આવિર્ભૂત કાળનાં વરસોમહીં,

ને કોષાણુમહીં છે જે મંદગામી દેવ પૂરી રખાયલો

તે જીવદ્રમાંહેથી  આરોહી અમૃતે જતો.

કિંતુ સંતાયલું, મર્ત્ય ગ્રાહમાં નવ આવતું,

બ્રહ્યનું સત્ય છે ગૂઢ, છે અનિર્વચનીય એ,

અનુચ્ચારિત એ માત્ર આત્મદૃષ્ટિ વડે જ પકડાય છે.

અહં ને મનના વાઘા ઊતર્યે સાદ એ સુણે;

વિલોકે જ્યોતિમાંથી એ જ્યોતિ નિત્ય મહત્તરા,

અને જીવનને ઘેરી રહેલી શાશ્વતી જુએ.

આપણાં ચિંતનો માટે પરદેશી છે મહત્તર સત્ય આ;

કરે છે કાર્ય જ્યાં એક મુક્ત પ્રજ્ઞા ત્યાં એ નિયમ શોધતા;

કે આપણે યદ્દચ્છાની માત્ર જોતા બાજી એક ફ્દૂક્તી, 

યા પરિશ્રમ જંજીરે નંખાયેલો બલાત્કારતણે વશ

બંધાયેલા કાયદાએ નિસર્ગના,

યા નિરંકુશ સ્વાતંત્ર જોતા મૂકી વિચારહીન શક્તિનું.

ઈશ્વરોદભૂત પોતાના બળ કેરા ભાને ઘૃષ્ટ બની જઈ

સમૂળા સત્યને લેવા પકડે સ્વવિચારની

હામ એ ભીડતા હતા;

દેવ-વિયુકત એક દૃષ્ટિ કેરી નિરાકાર પવિત્રતા,

સહેતો રૂપ ના એવો નગ્ન એક પ્રત્યક્ષ અવબોધ જે

તે દ્વાર, મન જેને કદી પ્રાપ્ત કરી શક્યું

તેને તેઓ મનની પાસ લાવતા,

ને આશા જીતવા કેરી સર્વોચ્ચ સત્ય ધામને.

ઉઘાડું એક આજ્ઞાર્થ વાક્ય વિચારણાત્મક,

રચનાત્મક ને જેના વિના ચાલે નહીં એવા પ્રકારનું,

૫૯


જે અવિચાર્ય છે તેને વિચારે અવતારતું : 

ઇન્દ્રિયજ્ઞાનનો સૂક્ષ્મ અને નગ્ન અગ્નિ રૂપલ-પાંખનો,

બાહ્યની તૂકબંધીથી નિવૃત્ત કર્ણ ચિત્તનો,

તેણે બીજાક્ષરો શોધી કાઢ્યા શાશ્વત શબ્દના,

બ્રહ્યાંડો છે રચ્યાં જેણે તે લયોના છંદ-સંગીતને સુણ્યાં,

અને અમુર્ત્ત સંકલ્પ 'અસ્તિ ' કેરો

છે જે સૌ વસ્તુઓ માંહે તેને જ્ઞાન વડે ગ્રહ્યો.

આંકડાના માપદંડો વડે માપ્યો તેમણે અણસીમને,

સીમાબદ્ધ વસ્તુઓનું આલેખ્યું સૂત્ર આખરી,

અવધો વણનાં સત્યો કર્યાં મૂર્ત્ત પારદર્શક દર્શને,

કાળને ઉત્તરો દેતો કરી દીધો અકાળને

અને મૂલ્યાંકને માપ્યો અમેય પરમાત્મને.

અગૃહીત અનંતોને વાડાઓ ને વાડોની મધ્ય પૂરવા

વિચારની અને વાણીતણી ભીંતો કરી ઊભી અઠંગ કૈં,

ને શૂન્યસ્થાનને સર્જ્યું ધારવા એકરૂપને.

દૃષ્ટિની દૃષ્ટિએ તેઓ ધપ્યા આગે ખાલી શિખરની પ્રતિ,

શીત સૂર્યોજ્જવલા છે જ્યાં હવા એવા અઘોર અવકાશમાં.

એકીકરણને માટે નિજ નિર્દિષ્ટ કાર્યના,

નગ્ન વિરાટને જેહ ધારવા અસમર્થ છે

તે જીવન બહિષ્કારી શૂન્યરૂપ બનાવ્યો સમુદાયને,

સર્વરૂપતણો અર્થ મેળવ્યો ઇન્કારમાં,

ને ભાવાત્મકતા સારી શોધી કાઢી અભાવમાં.

વિશ્વ વિષયને સાદો કરી દીધો

એકમાત્ર કલમે કાયદાતણી,

ભરી પ્રકૃતિને દીધી દાબી દાબી વિધિના એ સૂત્રમાં;

સમસ્ત જ્ઞાનને એકરૂપ કીધું પ્રયત્ને ભીમ એમના,

બ્રહ્ય કેરી પ્રથાઓને મન કેરા  બીજગણિતમાં ભરી,

જીવંત દેવસત્તાને રૂપ એક આપ્યું સંક્ષિપ્ત સારનું.

મન કેરી પ્રાજ્ઞતા હ્યાં આટલે અટકી પડી;

એણે અનુભવી એમાં પોતાની પરિપૂર્ણતા;

કેમ કે ન રહ્યું બાકી કૈં વિશેષ વિચારવા

અથવા જાણવા પછી;

અધ્યાત્મ-શૂન્યતામાં એ બેઠું સિંહાસને ચઢી

ને અનિર્વાચ્યને રૂપે માની લીધું નિજ વિરાટ મૌનને.

૬૦


હતી રમત આ દીપ્ત દેવો કેરી વિચારના.

અકાલ જ્યોતિ આકર્ષી આણીને કાળની મહીં

હોરાઓમાં શાશ્વતીને બનાવી બંદી એમણે

યોજના આ કરેલ છે

કે વિચાર અને વાણી કેરી સુવર્ણ જાળમાં

સત્યની દેવતા કેરા ચરણોને ફસાવવા,

ને વિચારકની મોજ કાજ એને બંદીવાન બનાવવી

એના અમર સ્વપ્નોના બનેલા લધુ લોકમાં:

માનવી મનની ભીંતો વચ્ચે એણે કરવાનો નિવાસ ત્યાં,

સ્વ-પ્રજાજનને ઘેર રાજરાણી પડેલી કેદની મહીં,

પૂજા પાતી પવિત્રા એ

એના હૈયાતણા સિહાસનને હજી,

એના ચિંતનની મૌનમયી ભીંતે સંભાળીને અલાયદી

રખાયેલી ભવ્યભવ્ય સંપદ્ એની પ્રેમે પોષણ પામતી,

નિષ્કલંક પવિત્રતા

એની એજ સદા માટે ને સદા એક રૂપમાં,

એની સદા સમર્ચાતી દેવતા અવિકારિણી.

એના સ્વભાવને દેતી સંમતિ ને ઈચ્છાને અનુમોદતી,

અને શબ્દો અને કાર્યો મંજૂર કરતી અને

એમને એ પ્રેરણા નિજ આપતી,

સુણતા શ્રવણોમાં એ પ્રલંબાવે એમનાં અનુનાદનો,

કોતરી જે કઢાયો છે કાળની શાશ્વતી થકી

તે વિચાર તથા પ્રાણ કેરા દીપ્ત પ્રદેશને

ઓળંગીને જતી એની યાત્રામાં તે સાહચર્ય સમર્પતી,

અને એની ગતિની નોંધ રાખતી.

ઉચ્ચ ને વિજયી એના સિતારાને સાક્ષી રૂપે વિલોક્તી,

એનું દૈવત સેવંતું અભિષિક્ત ભાવાત્મક-વિચારને

એના દ્વારા થશે એનું આધિપત્ય નમતા વિશ્વની પરે;

પરવાનો બનેલી એ એનાં કૃત્યો ને ધર્મમાન્યતાતણો,

નેતૃત્વના અને શાસ્તા બનવાના એના દિવ્યાધિકારને

પ્રમાણપત્ર આપતી.

યા એના પિયુને રૂપે પોતાની એ પ્રેયસીને

પ્રેમાલિંગન આપતો,

એ ઇષ્ટદેવતા એની એના પ્રાણતણું પૂજન પામતી, 

૬૧


હૈયા કેરી એકમાત્ર મૂર્તિપૂજા માટેની મૂર્ત્તિ એહ છે,

એ  હવે છે બની તની,

તેને માટે માત્ર એણે જીવવું જોઈએ હવે :

એણે છે આક્રમ્યો તેને ઓચિંતાની પોતાની સંમુદા વડે,

સુખી તેની બાથમાં છે એ અખૂટ ચમત્કૃતિ,

છે પ્રલોભન, આશ્ચર્ય  મોહમગ્ન કરતું પકડાયલું,

લાંબા તલ્લીન પીછાને અંતે તેનો દાવો એની પરે હવે,

તેના દેહ અને આત્મા કેરો એકમાત્ર આનંદ એ હવે :

નથી છટકવું શક્ય દેવતાઈ એની અભ્યર્થનાથકી,

એની ઉપરના મોટા સ્વામિત્વે જે થાય રોમાંચ તેહનું

અવાસન ન આવતું,

છે મદોન્મત્તતા એ, છે પરમાનંદિની મુદા :

પોતાને પ્રકટાવંતી

એની ચિત્ત-અવસ્થાઓ કેરી ઉત્કટ ભાવના,

સ્વર્ગીય મહિમા એક ને વૈવિધ્ય બનેલ એ

એ પ્રેમીની દૃષ્ટિ માટે નિજ દેહ નિત્ય નવ બનાવતી,

કે આવૃત્તિ કરે આધ સ્પર્શની મોહિનીતણી,

એના ગૂઢ સ્તનોનો ને સ્પંદમાન એનાં સુંદર અંગનો

પ્રભાવંત પ્રહર્ષ જે

તેને અંત વિનાની ને ધબકારે ભરાયલી

નીવીન શોધનું ક્ષેત્ર જીવમાન બનાવતી.

પ્રફુલ્લિત થઇ એક નવો આરંભ ઊઠતો

વાણી ને હાસ્યની મહીં,

નવીન મોહિની એક પાછી લાવે જૂની હર્ષાતિરેકતા :

પ્રિયામાં લોપ પામે એ, એનું સ્વર્ગ પ્રિયા હ્યાં જાય છે બની.

સત્યને દેવતા સારે સ્મિત રમ્ય સ્વર્ણ રમતની પરે.

નિજ નીરવ ને નિત્ય આકાશોમાંહ્યથી લળી

મુક્ત એ દેવતા ભવ્યા, અને એણે દેખાવ આપવાતણો

કરી આપ્યું સ્વગુહ્યોનું માધુર્ય સૂર્ય-શોભતું.

એના આશ્લેષમાં મૂર્ત્ત નિજ સૌન્દર્યને કરી

આપ્યા અમર પોતાના અધરોષ્ઠ અલ્પ ચુંબન પામવા,

ને છાતી-સરસું કીધું મહિમાને પામેલું મર્ત્ય મસ્તક :

સ્વર્ગ નાનું હતું જેને માટે તેણે

ધરણીને ધામ પોતાતણું કર્યું.

૬૨


માનવી હૃદયે એનું વસ્યું સાન્નિધ્ય ગૂઢનું;

કંડારી માણસે કાઢી પોતાના જ સ્વરૂપથી

મૂર્ત્તિ એની પોતાની કલ્પનાતણી:

સત્ય કેરી દેવતાએ મન કેરા સમાશ્લેષ-સમોવડું

નિર્મ્યું નિજ શરીરને.

આવી છે એ સાંકડી શી હદોમાંહ્ય વિચારની;

એણે નિજ મહત્તાને ભાવનાની છોટી શી કોટડીમહીં

પરાણે પૂરવા દીધેલ છે સ્વયં,

કોટડી બંધ જ્યાં બેસી એકલો કો વિચારક વિચારતો :

આપણાં સત્ત્વની છે જે ઊંચાઈઓ

તેના પ્રમાણમાં તેણે ઊંચાઈઓ નિજ નીચી કરેલ છે

ને પોતાની દિવ્ય દૃષ્ટે આંજી છે આંખ આપણી.

આમ સંતુષ્ટ પ્રત્યેક રહે પોતે કરેલી ઉચ્ચ પ્રાપ્તિથી

ને પોતાને ધન્ય માને મર્ત્યભાવથકી પરો,

આગવી નિજ ગાદીએ રાજતો રાજ સત્યનો.

કાળના ક્ષેત્રમાં એના ભોક્તા સ્વામી બનેલને

લાગતું કે એકમાત્ર દીપ્તિ એના મહિમાની ઝલાયલી

છે એકમાત્ર સજજ્યોતિ,

એના સૌન્દર્ય કેરી છે ઉજ્જવલંત સમસ્તતા.

કિંતુ વિચાર કે શબ્દ પકડી ના શકે શાશ્વત સત્યને :

એના સૂર્યતણા એકમાત્ર કિરણની મહીં

વિશ્વ સમસ્ત છે વસ્યું.

વાસેલા, સાંકડા, દીપે ઉજાળતા નિવાસમાં

આપણાં મનનોતણા,

મિથ્થાભિમાન પૂરેલા આપણા મર્ત્ય ચિત્તનું

સ્વરૂપે છે કે સાંકળોએ વિચારની

સત્યને છે બનાવી દીધ આપણું;

આપણે કિંતુ પોતાના પ્રકાશંતાં

બંધનોની સાથે કેવળ ખેલતા;

સત્યને બાંધવા જાતાં પોતાને જ આપણે બાંધીએ છીએ.

એક પ્રકાશતા બિંદુ દ્વારા સંમોહને પડી

જોતા ના આપણે કે લઘુ કેટલું

એનું રૂપ આપણે ધારીએ છીએ;

પ્રેરણા આપતી એની સીમાબંધનમુક્તતા

૬૩


તે લહેતા ન આપણે,

ભાગીદારી આપણી ના એની અમર મુક્તિમાં.

દ્રષ્ટા ને ઋષિને માટે પણ આવું જ જાણવું;

કેમ કે માનવી ત્યાં યે કરે સીમિત દિવ્યને:

વિચારોમાંહ્યથી કૂદી આપણે છે જવાનું દૃષ્ટિની પ્રતિ,,

છે શ્વાસોચ્છવાસ લેવાના એની દિવ્ય હદ-હીન હવાતણા,

કબુલ કરવાનું છે એના સોદા સુવિશાળ વિભુત્વને,

એની કેવળ સત્તાને સમર્પાઈ જવાની હામ ભીડવી.

નિ:સ્પંદ મનમાં ત્યારે જીવંત દર્પણે યથા

અવ્યક્ત નિજ પાડે છે પ્રતિબિંબ સ્વરૂપનું;

આપણાં હૃદયો મધ્યે કાલમુક્ત આવે છે રશ્મિ ઊતરી

ને આપણે થતા ભાવાલીન શાશ્વતતામહીં.

કેમ કે સત્ય પોતે છે વધુ વ્યાપ્ત

ને મહાન પોતાનાં સર્વ રૂપથી.

હજારો મૂર્ત્તિઓ એની છે બનાવેલ એમણે

ને પ્રતિમાઓ જે પૂજે છે તેમની મહીં

તે થાય પ્રાપ્ત તેમને;

પરંતુ સત્ય પોતે તો પોતારૂપ રહે અને

પોતે અંતવિહીન છે.

૬૪


 

અગિયારમો  સર્ગ  સમાપ્ત